New GST Structure (Effective 22 September 2025)
Experience the transcendental journey of MaharajSwamiVibes – where spiritual wisdom meets vibrant vibes. Discover a harmonious blend of ancient teachings and modern inspirations, guiding you towards balance, peace, and higher consciousness. Dive into a world of serenity and positive energy with MaharajSwamiVibes. Elevate your spirit today!"
સુરત અક્ષરધામ
સુરતમાં જે સ્થાને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ભવ્ય અક્ષરધામનુ નિર્માણ કરી રહ્યા છે તે કણાદ ગામનુ નામ જે મહાન રૂષિના નામ પરથી પડેલુ છે તે મહર્ષિ કણાદ તથા તેમના આપેલા દર્શન વિષે આવો થોડુ જાણીએ.

મહર્ષિ કણાદ
એવું કહેવાય છે કે કણાદ ઉલૂકઋષિના વંશજ હતા. એવું પણ કહેવાય છે કે તેઓ દિવસે સતત ધ્યાનમગ્ન વિચારશીલ અને અભ્યાસરત રહેતા હોવાથી ફક્ત રાત્રે જ ખળામાં પડેલ દાણા વીણીને ખાતા. આ રીતે દિવસે ઊંઘવાની અને રાત્રે જાગવાની ચેષ્ટા કરનાર ઉલુક (ઘૂવડ)ની જેમ વર્તતા. કણાદ 'ઉલૂક'ના નામે ઓળખાતા હોવાથી તેના દ્વારા પ્રવર્તન પામેલ દર્શનનું નામ "ઔલુકય દર્શન" પડ્યું. વળી, એવું પણ કહેવાય છે કે કણાદ ઋષિની કઠોર તપસ્યાથી સંતુષ્ટ થઈને ભગવાને ઉલૂકરૂપે આ જ્ઞાન ઉપદેશેલ હોવાથી આ જ્ઞાનને 'ઔલુકય દર્શન' કહે છે. વળી આ દર્શનમાં પરમાણુવાદની વિશેષ ચર્ચા હોવાથી પરમાણુરૂપ કણોને ખાનાર (પચાવીને તેનું જ્ઞાન કરનાર) કણાદ તરીકે ઓળખાયા. તેઓ ખળામાં પડેલ અનાજના કણ વીણીને ખાતા અને જીવન નિર્વાહ કરતા તેથી તેઓનું નામ કણાદ પડેલું. कणम् अत्ति इति कणाद:। વળી મહર્ષિ કણાદને કણભૂક, કાશ્યપ અને ઔલુક પણ કહેવામાં આવે છે.
મહર્ષિ કણાદનું વ્યક્તિગત જીવન જોતા તે ઈશ્વરવાદી શિવભક્ત હતા.
આચાર્ય મહર્ષિ કણાદ વૈશેષિક દર્શનના પ્રવર્તક હતા. વૈશેષિક દર્શનના જ્ઞાનનો મુખ્ય આધાર કણાદ રચિત વૈશેષિક સૂત્રો છે. કણાદ ઋષિએ પ્રવર્તન કર્યું હોવાથી આ દર્શનને 'કાણાદ દર્શન' પણ કહે છે.
મહર્ષિ કણાદે વૈશેષિક સૂત્રોની રચના કરી છે. વૈશેષિક સૂત્રોની સંખ્યા ૩૭૦ છે, કે જે ૧૦ અધ્યાયોમાં વહેંચાયેલા છે. વૈશેષિક દર્શન વૈશેષિક, કાણાદ કે ઔલુકય દર્શનને નામે ઓળખાય છે. આ દર્શનમાં 'વિશેષ' નામના પદાર્થનો સ્વીકાર કરાયો હોવાથી તે 'વૈશેષિક દર્શન'ના નામે ઓળખાય છે.
विशेषण दिव्यति जयति वा इति वैशेषिकम् |
विशेषो व्यवच्छेदस्तत्व निर्णयस्तेन व्यवहरति इति वैशेषिकम् ||
વિશેષ એટલે વ્યવચ્છેદ યા ભેદ. વૈશેષિક દર્શન પદાર્થોનું સૂક્ષ્મ દૃષ્ટિએ વિશ્લેષણ કરી તેમનો ભેદ યા તેમની લાક્ષણિકતાઓ દર્શાવે છે એટલે એનું નામ વૈશેષિક પડ્યું છે.
વૈશેષિક દર્શનમાં મુખ્યત્વે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ સાત પદાર્થનું ખૂબ ઊંડાણથી નિરૂપણ કર્યું છે. સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે પદાર્થોનું વિશ્લેષણ, વર્ગીકરણ અને તેની વિચારણા શા માટે કરવામાં આવે છે? અર્થાત તત્વમીમાંસાનો હેતુ શો છે ? પદાર્થધર્મ વર્ણનનું કારણ યથાર્થ જ્ઞાન અને પરિણામે મોક્ષ છે.
पदार्थाना साधर्म्य वैधर्म्याभ्यां तत्वज्ञानन्ति: श्रेयसम।। (વૈ.સુ. ૧/૧/૪) અર્થાત્
પદાર્થોના સાધર્મ્ય-વૈધર્મ્યના જ્ઞાનથી કલ્યાણ થાય છે. પદાર્થોના સાધર્મ્ય-વૈધર્મ્યના બોધથી જ મોક્ષ થાય, કારણ કે શરીર, ઇન્દ્રિયો અને આત્માદિ પદાર્થોના પૃથક્ વિવેચન વગર આત્મામાં દેહબુદ્ધિ, પદાર્થમાં મમત્વબુદ્ધિ, દેહમાં અહંબુદ્ધિ છૂટતી નથી. તેથી પદાર્થના યથાર્થ જ્ઞાનથી આત્મા દેહની ભિન્નતા સમજાય છે. કણાદાનુસાર પરમાણુઓ તથા આત્માઓમાં પ્રથમ ગતિ અદ્રષ્ટને કારણે થાય છે. ઈશ્વર સંસારનું નિમિત્ત કારણ છે અને પરમાણુ ઉત્પાદન કારણ છે.
સેંકડો વર્ષ પહેલા ભારતીય દર્શન વૈશેષિક વિદ્વાનોએ કોઈપણ જાતના વૈજ્ઞાનિક સાધનો કે પ્રયોગશાળા વગર પરમાણુવાદની કેટલી ગહન ચર્ચા કરી છે? હિન્દુસ્તાનમાં ભૌતિકશાસ્ત્રનો પ્રથમ પાયો નાખનાર વૈશેષિકો હતા. તેમ છતાં પશ્ચિમી જગતની જેમ આ કેવળ ભૌતિક વિજ્ઞાન નથી. કેવળ જગતની રચનાને સમજવાનો પ્રયત્નમાત્ર નથી. પરંતુ તે જડ જગતમાં પણ આત્મા અને પરમાત્માનો સંબંધ ભેળવીને તે સર્વે તત્વોના યથાર્થ જ્ઞાન દ્વારા વિવિધ તાપ અને અનંત દુઃખોમાંથી મુક્તિ મેળવવાની તેમની ઝંખના છે. આ રીતે અહીં ભૌતિકવાદ તથા અધ્યાત્મવાદનો સુભગ સમન્વય છે. 'પદાર્થ'ના ખ્યાલ દ્વારા લગભગ બધા જ વિષયોનું સ્પષ્ટીકરણ કરવાનો સ્તુત્ય પ્રયત્ન વૈશેષિકોએ કર્યો છે. 'પદાર્થ'નો આ ખ્યાલ સૂક્ષ્મ બુદ્ધિનો પરિચાયક છે. વૈશેષિકનો પદાર્થ વર્ગીકરણ અને પરમાણુકારણવાદ કેવળ ભૌતિકવાદ તથા બૌદ્ધના ક્ષણિકવાદથી શ્રેષ્ઠ છે, તથા ભારતીય દર્શનના વિકાસક્રમમાં એક મહત્વપૂર્ણ સ્તર છે. વૈશેષિક દર્શન ખૂબ જ પ્રાચીન છે. જૈન, બૌદ્ધ ગ્રંથોમાં વૈશેષિક દર્શનનો ઉલ્લેખ હોવાથી તે જૈન-બૌદ્ધ દર્શનથી પ્રાચીન હશે એમ કહી શકાય. સાંખ્યદર્શન પછી તેનો પ્રારંભ થયો છે એવું કહેવાય છે. તે ન્યાયદર્શન કરતાં પ્રાચીન છે.
- 'ભારતીય દર્શનોની રૂપરેખા' ભાગ - ૧, પ્રકાશક : સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ માંથી સારવીને..
Comments
Post a Comment